Ernest Rutherford



અણુ વિભાજનનો શોધક: અર્નેસ્ટ રૃથરફોર્ડ



રેડિયેશન અને રેડિયો એક્ટિવ પદાર્થો વિશે આપણે ઘણું જાણીએ
છીએ. રેડિયો એક્ટીવ પદાર્થોના રાસાયણિક ગુણધર્મો વિશે ઊંડી સમજ આપનારા વિજ્ઞાનીઓમાં અર્નેસ્ટ રૃથરફોર્ડનું નામ મોખરે છે. આલ્ફા અને બિટા વિકિરણોના નામ પણ તેણે આપેલાં. પદાર્થના અણુમાં રહેલા પ્રોટોનનું નામ પણ તેણે આપેલું. અણુ વિભાજનની મહત્ત્વની શોધ કરવા બદલ તેને ૧૯૦૮માં કેમિસ્ટ્રીનું નોબેલ ઈનામ મળેલું.
  
અર્નેસ્ટ રૃથરફોર્ડનો જન્મ ઈ.સ. ૧૮૭૧ના ઓગસ્ટની ૩૦ તારીખે ન્યુઝિલેન્ડના બ્રાઈટવોટર શહેરમાં થયો હતો. તેના પિતા ખેડૂત હતા. તેણે હેવલોક સ્કૂલ અને નેલ્સન કેન્ટબરી યુનિવર્સિટીમાં ઈલેક્ટ્રીકલ ટેકનોલોજીમાં ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. ૧૮૯૫માં તે ઈંગ્લેન્ડ ગયો અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વધુ અભ્યાસ કરવા ગયો. ૧૮૯૮માં તેને કેનેડાની મેકગિલ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નિમણુક મળી. ૧૮૯૫ થી ૧૮૯૮ દરમિયાન તેણે રેડિયો એક્ટીવ પદાર્થો પર રાસાયણિક પ્રયોગ કરી સંશોધનો કર્યાં. ૧૯૦૭માં તે બ્રિટન આવ્યો અને માંચેસ્ટર યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયો. ૧૯૦૮માં તેને નોબેલ ઈનામ એનાયત થયું. બ્રિટનની મહારાણીએ તેને નાઈટનો ઈલકાબ આપેલો. રૃથરફોર્ડના હાથ નીચે ભણેલા ઘણા વિદ્યાર્થીઓ વિશ્વ પ્રસિદ્ધ વિજ્ઞાનીઓ બનેલા. તત્વોના કોઠામાં ૧૦૪ના સ્થાન પર શોધાયેલા નવા તત્વને રૃથર ફોર્ડિયમ નામ આપીને વિજ્ઞાન જગતે તેને અંજલિ આપી છે. ઈ.સ. ૧૯૩૭ના ઓક્ટોબરની ૧૯મીએ તેનું અવસાન થયું હતું.

Source: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/nuclear-divisions-inventor-of-ernest-rutherford

Comments

Popular Posts