શું તમે જાણો છો ?

બ્રેઇલ લિપિની કાલ અને આજ

અંધજનો માટેની ઉપસેલા અક્ષરની લિપિનો ખ્યાલ છેક ૧૫૧૭ વર્ષ જુનો છે. ફ્રાન્સના વેલેન્ટાઇન હાવે નામના એક નાગરિકે ૧૭૮૪ના વર્ષમાં ઉપસેલા અક્ષરોનો પ્રયોગ કરેલો. ત્યાર પછી ૧૮૧૯માં નેપોલિયનના એક લશ્કરના અધિકારી કેપ્ટન ચાર્લ્સ બારબિયરે સેનાના ગુપ્તસંદેશ મોકલવા ૧૨ ઉપસાવેલા બિંદુઓનો પ્રયોગ કર્યો હતો. ૧૮૨૯માં લુઇ બ્રેઇલે આ બિંદુઓને ૬ ઉપસેલા બિંદુઓમાં પરિવર્તિત કર્યા, પછીથી આખા જગતમાં બ્રેઇલ લિપિને નામે જ ઓળખાવા લાગ્યા. ૧૯૩૨થી સમગ્ર વિશ્વએ પ્રજ્ઞાચક્ષુઓના ઉપયોગ માટે બ્રેઇલ લિપિનો સ્વીકાર કર્યો.

૧૯૫૧ના વર્ષમાં ભારતીય બ્રેઇલલિપિને સત્તાવાર માન્યતા મળી. ભારતમાં બ્રેઇલ સાહિત્યના મુદ્રણ માટે દહેરાદૂનમાં એક ‘સેન્ટ્રલ બ્રેઇલ પ્રેસ’ની સ્થાપના કરવામાં આવેલી છે. આ પ્રેસ ભારતની દસ ભાષાઓમાં બ્રેઇલ લિપિમાં છપાયેલાં પુસ્તકો પ્રગટ કરે છે. ભારતના પ્રથમ બેઇલ સંપાદક બનવાનું સૌભાગ્ય ઠાકુર વિશ્વનારાયણસિંહને મળેલું. તેઓ ભારતીય બ્રેઇલ સાહિત્ય અને પત્રકારત્વના પિતા મનાય છે. ભારતમાં એક કરોડથી પણ વધુ અંધજનો હોવાનો અંદાજ છે.-

ચામાચીડિયું અંધારામાં કેવી રીતે ઊડે છે?

ઝાડ ઉપર ઊંધા લટકતાં ચામાચીડિયાં એ જ મુદ્રામાં ઊંઘે પણ છે. સવાલ એ છે કે ચામાચીડિયાં અંધારામાંય ઊડી શકે છે એનું કારણ શું? ચામાચીડિયું ઊડતી વખતે પોતાના નાક પાસેના એક ખાસ અવયવમાંથી વિશિષ્ટ પ્રકારનો અવાજ કાઢે છે. આ અવાજ અલ્ટ્રાસોનિક હોય છે. આ અવાજની ઝડપ એટલી બધી હોય છે કે આપણે એને સાંભળી શકતા નથી, પણ ચામાચીડિયું એને સાંભળી શકે છે.

આ રીતે તેણે આગળ છોડેલો અવાજ આગળની વસ્તુ સાથે અથડાઇને પડઘો બનીને પાછો આવે છે અને ચામાચીડિયાના કાનને અથડાય છે. આ અવાજના પડઘા પરથી ચામાચીડિયાને ખબર પડી જાય છે કે આગળ શું છે? કાનથી સાંભળીને જોવાની ચામાચીડિયાની આ રીતથી તેને શિકાર કરવામાંય સરળતા પડે છે. હવામાં ઊડતાં જીવડાંને તે તરત જ ઓળખી કાઢે છે અને આ રીતે પોતાની ભૂખ સંતોષે છે.

દાંતમાં ઈનેમલ અને ડેન્ટિનનું શું મહત્વ છે?

આપણા મોઢાના દાંતની જાળવણીમાં સૌથી વધુ મહત્વની તેની સફાઈ છે. ઓછામાં ઓછા બે વાર તો દાંતની સફાઈ કરવી જ જોઈએ. તમને ખબર છે ફ્લોરાઈડ નામનું એક રાસાયણિક તત્વ છે તે દાંતના ઈનેમલને મજબૂત કરે છે. સફેદ રંગના સૌથી ઉપરના આવરણને ઈનેમલ કહેવાય. તે દાંતના અંદરના નાજુક ભાગોનું રક્ષણ કરે છે. ઈનેમલને કારણે જ આપણા દાંત મોતીની જેમ ચમકે છે.

દાંતમાં સડો થવાથી કે કળતર થવાથી ઈનેમલ નીકળી જાય ત્યારે દાંતમાં અસહ્ય દુખાવો થાય છે. ઈનેમલ પછી અંદર આછા પીળા રંગનું ડેન્ટિનનું આવરણ હોય છે. ડેન્ટિન ઈનેમલ કરતાં થોડુંક ઓછું મજબૂત હોય. દાંતનો સડો ઈનેમલ સુધી પહોંચે પછી ડેન્ટિન સુધી પહોંચતા દાંતનો દુખાવો વધે છે.

Comments

Popular Posts